Navsari Agricultural University

પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) :

પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) :
-------------------------

ફૂદાં આછા રાખોડી રંગના હોય છે. જેની અગ્ર પાંખો ચટાપટાવાળી હોય છે. માદા ફૂદીં સમૂહમાં પાન ઉપર ઈંડાં મૂકી ભૂખરા વાળથી ઢાંકી દે છે. નાની ઈયળો ઘેરા લીલા રંગની, જયારે વિકસીત ઈયળો આછા બદામી રંગની હોય છે. કોશેટા રતાશ પડતા બદામી રંગના માટીના કોચલામાં બનાવે છે. નાની ઈયળો સમુહમાં પાનની નીચે રહીને પાનનો લીલો ભાગ કોરે છે. જયાં સફેદ ધાબુ પડે છે. ઈયળો મોટી થતાં છૂટી પડી પાન, ટોચ અને ડોડવા પણ કોરી ખાય છે. આ એક બહુભોજી જીવાત હોઈ વિવિધ પાકોમાં નુકસાન કરે છે.

o ફેરોમોન ટ્રેપમાં નર ફૂદીંઓને આકર્ષવા માટે જે તે જીવાતોની ફેરોમોનની ટોટી મુકવામાં આવે છે, જે ૧૫ થી ૨૦ દિવસના અંતરે વાતાવરણને ધ્યાનમાં રાખીને બદલવામાં આવે છે. ફેરોમોન ટ્રેપ સ્પોડોપ્ટેરા માટે ખુબજ ઉપયોગી છે.
o સ્પોડોપ્ટેરાના ઈંડાં અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલ ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈંડાંના સમૂહ તેમ જ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવાથી વસ્તીમાં ધરખમ ઘટાડો કરી શકાય છે. પરિણામે તેનાથી થતું નુકસાન ઘટાડી શકાય છે. મોટા કદની લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈ નાશ કરવો.
o બેસીલસ થુરેન્જીન્સીસ નામના રોગપ્રેરક જીવાણુંનો પાવડર ૧ થી ૧.૫ કિ.ગ્રા./હે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી બીજી કે ત્રીજી અવસ્થાની સ્પોડોપ્ટેરાની ઈયળ જોવા મળે ત્યારે છંટકાવ કરવો.
o સ્પોડોપ્ટેરાનું ન્યુકિલઅર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ ઈયળ એકમ જરૂરી પાણીના જથ્થામા ઉમેરી હેકટર વિસ્તારમાં છાંટવાથી આવી ઈયળોમાં રોગ લાગુ પડતા સારુ નિયંત્રણ મળે છે.
o પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)નું નિયંત્રણ કરવા માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા ફેનવાલેરેટ ૨૦ ઈસી ૫ મિ.લિ. અથવા ડેલ્ટામેથ્રીન ૨.૮ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને પંદર દિવસના આંતરે છંટકાવ કરવો. મોટી ઈયળોના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિ.લિ. + ફેનીટ્રોથીઓન ૫૦ ઈસી ૫ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો.

� 2013 Agricultural Educatorium, Navsari Agricultural University, Navsari. All Rights Reserved Managed by: IT Cell, Navsari Agricultural University, Navsari.